એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.
એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.
વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
તારા જીવનમાં એને વસાવી નહીં શકે.
આંખો નિરાશ, ચેહરે ઉદાસી, આ શું થયું ?
જા હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.
અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.
તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.
ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર
કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.
એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’
આશના દીપ કોઇ બુઝાવી નહીં શકે.
– ‘મરીઝ’
એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’, કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
– મરીઝ
આપની નજરો જે ફરમાવી રહી, એ ગઝલ જો યાદ આવે તો કહું!
લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું!
આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું!
શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું!
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું!
કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું!
-રાજેન્દ્ર શુક્લ
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
મિત્રો, ઘણા દિવસો પછી મળી ને ચાલો માણિયે એક સરસ મજાની સૈફ પાલનપૂરી સાહેબની ગઝલ.
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો યાદ આવી જાય છે,
કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.
આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે
-સૈફ પાલનપૂરી
દોસ્ત તારામાં ગોલમાલ ન કર
નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.
કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.
કેમકે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ ન કર.
તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.
લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર
– અદમ ટંકારવી
પાન લીલું જોયું ને તમે ….યાદ આવ્યાં.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
-હરિન્દ્ર દવે.
થાય સરખામણી તો
બેફામ સાહેબની આ ગઝલ મનહર ઉધાસ ના સ્વર માં ખુબજ સરસ રીતે રજુ થઈ છે.
થાય સરખામણી તો ઊતરતા છીએ, તે છતાં આબરુને દીપાવી દીધી એમના મહેલને રોશની આપવા, ઝૂંપડી પણ અમારી જલાવી દીધી ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારોય છે એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી બીક એક જ બધાને હતી કે અમે, ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી , કોઈએ જાળ રસ્તે બિછાવી દીધી કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે ના કોઈને નડ્યા ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી કોણ જાણે હતી કેવી વર્ષો જૂની, જિંદગીમાં અસર એક તનહાઈની કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો, એને આખી કહાણી સુણાવી દીધી દિલ જવા તો દીધું કોઈના હાથમાં, દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ સાચવી રાખવાની જે વસ્તુ હતી , એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી -બરકત વિરાણી ‘બેફામ’
“શૂન્ય” પાલનપુરી ની સરસ ગઝલ
ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?
ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.
નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.
ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?
તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.
માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.
આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.
-“શૂન્ય” પાલનપુરી
નૈન થી વાતો કરો તો ચાલસે.
મનહર ઉધાસે ગાયેલી આ નઝમ અને ગઝલ ખુબજ
પસંદ છે પણ શાયરનું નામ નથી જાણતો.
રાતોની તનહાઈઓ માં શાંતિ અને વિહવળતા આપતી
આ ગઝલ આજે બધાની સાથે માણીયે. કોઈ ને
ખ્યાલ હોય તો કોમેન્ટસ માં ગઝલકાર નું નામ
જરુર જણાવશો. આભાર.
એવુ નથી કે પ્રેમમાં પળવું જ જોઈએ,
પણ જો પડ્યાં તો બેઉંને પરવડવું જોઈએ.
જો વાઈદો ન પાળવાના હોવ તો પછી,
બહાનુંય સારૂ કાઢતા આવડવું જોઇએ.
વાર તહેવારે મળો તો ચાલસે,
દુરથી હસતા રહો તો ચાલસે.
નામ મારું હોઠ પર ના લઈ શકો,
નૈન થી વાતો કરો તો ચાલસે.
હાથમાં લઈ હાથ મળવું શક્ય ના,
ભીળમાં સ્પર્શી જુઓ તો ચાલસે.
નામ સરનામું લખો હસ્તાક્ષરે,
પત્ર કોરો કટ લખો તો ચાલસે.
જિંદગી ભર સાથ આપી ના શકો,
એક પળ સાથે રહો તો ચાલસે.
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં
આજે માણીયે બેફામ સાહેબ ને.
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.
ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.
હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.
ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.
હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.
સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.
જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં
– બરકત વિરાણી “બેફામ”.
-
સંગ્રહ
- સપ્ટેમ્બર 2017 (1)
- સપ્ટેમ્બર 2016 (2)
- ઓક્ટોબર 2015 (1)
- સપ્ટેમ્બર 2014 (2)
- સપ્ટેમ્બર 2013 (2)
- માર્ચ 2013 (1)
- નવેમ્બર 2012 (1)
- ઓક્ટોબર 2012 (6)
- સપ્ટેમ્બર 2012 (1)
- જુલાઇ 2012 (1)
- મે 2012 (1)
- ડિસેમ્બર 2011 (1)
-
શ્રેણીઓ
-
RSS
Entries RSS
Comments RSS